Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Fact – અશરફ બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસમાં મુખ્ય આરોપી છે.
Claim – મહાલક્ષ્મીની હત્યા તેના પ્રેમી મુક્તિ રંજન રે દ્વારા કરવામાં આવી હતી, બાદમાં તેણે પણ આત્મહત્યા કરી હતી.
તાજેતરમાં બેંગલુરુ મહાલક્ષ્મી હત્યા કેસને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ઘણા સમાચાર આઉટલેટ્સ દ્વારા એવી રીતે શેર કરવામાં આવ્યો હતો કે, મહાલક્ષ્મીનાં મુસ્લિમ પ્રેમી અશરફે તેમની હત્યા કરી અને શરીરના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા. આ સમાચાર 2022માં દિલ્હીમાં બનેલા શ્રદ્ધા વાલ્કર હત્યા કેસની જેમ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનાં પ્રેમી આફતાબે તેનાં ટુકડા કરી દીધા હતા, તેને ફ્રીજમાં રાખી હતી અને પછી તેને જંગલમાં ફેંકી દીધા હતાં.
જોકે, પાછળથી આવેલા સમાચાર અહેવાલો અને પોલીસ નિવેદનોએ સ્પષ્ટ કર્યું કે, મહાલક્ષ્મીની હત્યા અશરફ નામના વ્યક્તિએ નહીં, પરંતુ ઓડિશાના ભદ્રક જિલ્લાના રહેવાસી તેના પ્રેમી મુક્તિ રંજન રે દ્વારા કરવામાં આવી હતી. બાદમાં મુક્તિ રંજન રેએ પણ આત્મહત્યા કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મહાલક્ષ્મીના અશરફ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ પણ હતા. પરંતુ થોડા મહિના પહેલા બંને અલગ થઈ ગયા હતા.
લાઈવ હિન્દુસ્તાન , ન્યૂઝ 24 અને ન્યૂઝ 18ના એન્કર અમન ચોપરાએ તેમના અહેવાલમાં આ જ દાવા સાથે સમાચાર પ્રકાશિત કર્યા, જેમાં કહ્યું કે “અશરફે મહાલક્ષ્મીના 30 ટુકડા કરી દીધા”.
આ ઉપરાંત આ દાવો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
અશરફનું નામ કેવી રીતે સામે આવ્યું ?
દૈનિક ભાસ્કર અને બીબીસી હિન્દીની તપાસ અને અહેવાલોમાં મળેલી માહિતી અનુસાર , મહાલક્ષ્મીનો પરિવાર મૂળ નેપાળના કઠંદ રાજ્યનો છે. તેના માતા-પિતા લગભગ 30 વર્ષ પહેલા બેંગલુરુ આવીને સ્થાયી થયા હતા. મોલમાં કામ કરતી મહાલક્ષ્મીના લગ્ન નેલમંગલામાં રહેતા હેમંત દાસ સાથે થયા હતા અને બંનેને 4 વર્ષની પુત્રી છે. જોકે બંને લગભગ ચાર વર્ષથી અલગ રહેતા હતા.
મહાલક્ષ્મી ઓક્ટોબર 2023થી બાસપ્પા ગાર્ડન પાસે 5મી ક્રોસ પાઇપલાઇન રોડ પર વ્યાલીકાવલમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. 21 સપ્ટેમ્બરના રોજ મહાલક્ષ્મીના મકાનમાલિકે તેની માતા અને બે જોડિયા બહેનોને ફ્લેટમાંથી દુર્ગંધ આવવાની જાણ કરી. આ પછી, જ્યારે તેઓ સાંજે ત્યાં પહોંચ્યા, ત્યારે તેઓએ મહાલક્ષ્મીના મિત્ર પાસેથી વધારાની ચાવી લીધી અને ઘરનો દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલતાની સાથે જ તેઓએ ફ્રિજમાં લોહીના ડાઘ, જંતુઓ અને મહાલક્ષ્મીના શરીરના ટુકડા જોયા, ત્યારબાદ તેઓ ચીસો પાડતા બહાર આવ્યા. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને આ દરમિયાન મહાલક્ષ્મીના વિમુખ પતિ હેમંત દાસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ દરમિયાન હેમંતે મીડિયાને જણાવ્યું કે, મહાલક્ષ્મીના અશરફ નામના વ્યક્તિ સાથે સંબંધમાં હતા. આ પછી મીડિયા ચેનલોએ અશરફ વિશેના સમાચાર જંગલની આગની જેમ ફેલાવ્યા.
જોકે, બેંગલુરુ પોલીસે હેમંત દાસના દાવાને નકારી કાઢ્યો હતો. એક પોલીસ અધિકારીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, “મહાલક્ષ્મી અશરફ સાથે સંબંધમાં હતાં પરંતુ થોડા સમય પહેલા બંને અલગ થઈ ગયા હતા”.
મુખ્ય આરોપી મુક્તિનાથ રે સુધી પોલીસ કેવી રીતે પહોંચી?
આજતકના અહેવાલ મુજબ, જ્યારે બેંગલુરુ પોલીસે મહાલક્ષ્મીની હત્યાની તપાસ શરૂ કરી ત્યારે પોલીસને તેનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. આ ફોન 3 સપ્ટેમ્બર 2024થી બંધ હતો. આ મોબાઈલના કોલ રેકોર્ડમાં મુક્તિ રંજન રેનો નંબર હાજર હતો. આ ઉપરાંત પોલીસ મોલમાં કામ કરતા મહાલક્ષ્મીના સાથીદારોની પણ પૂછપરછ કરી રહી હતી. પૂછપરછ દરમિયાન, જાણવા મળ્યું કે મહાલક્ષ્મી છેલ્લે 1 સપ્ટેમ્બરના રોજ મોલમાં કામ કરવા માટે આવી હતી અને તે જ દિવસથી, તેના અન્ય સાથીદાર મુક્તિ રંજન રે પણ ગુમ હતો. પોલીસે જ્યારે મુક્તિ રંજન રેના મોબાઈલ લોકેશનની શોધ કરી ત્યારે 2જી અને 3જી સપ્ટેમ્બરે પણ તેનું લોકેશન મહાલક્ષ્મીના ઘર પાસે મળ્યું હતું.
આ પછી પોલીસે મુક્તિ રંજન રેની શોધ શરૂ કરી અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા પોલીસને તેનો ભાઈ બેંગલુરુમાં રહેતો મળ્યો. પોલીસની પૂછપરછ દરમિયાન તેના ભાઈ સ્મૃતિ રંજન રેએ જણાવ્યું કે મુક્તિ રંજન રેએ તેની પાસે મહાલક્ષ્મીની હત્યાની વાત કબૂલ કરી છે. તેના ભાઈએ પોલીસને એ પણ જણાવ્યું કે, જ્યારે મુક્તિ રંજનને ખબર પડી કે મહાલક્ષ્મીના જીવનમાં એક અન્ય વ્યક્તિ છે અને તેમ છતાં તે તેના પર લગ્ન માટે દબાણ કરી રહી છે ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેણે મહાલક્ષ્મીની હત્યા કરી નાખી.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ ઓડિશા જઈને આત્મહત્યા કરી લીધી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ , મહાલક્ષ્મીની હત્યા કર્યા પછી મુક્તિ બેંગલુરુમાં રહેતા તેના ભાઈ સ્મૃતિ રંજન રે પાસે ગયો અને તેને હત્યા વિશે જણાવ્યું. આ દરમિયાન સ્મૃતિએ તેને પકડાતા પહેલા ભાગી જવા કહ્યું અને મુક્તિને સ્કૂટર પણ આપ્યું. આ પછી તે ઓડિશાના બહરમપુરમાં તેના ભાઈ સત્ય રંજન રે પાસે પહોંચ્યા અને લગભગ 9 દિવસ ત્યાં રહ્યા.
આ પછી, મુક્તિ ભદ્રક જિલ્લાના તેના ગામ ભુઈનપુર પણ ગયા, જ્યાં તે 24 સપ્ટેમ્બરની રાત સુધી રોકાઈ. ત્યારબાદ તે અગત્યનું કામ હોવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો અને બીજા દિવસે 25મી સપ્ટેમ્બરે સાંજે તેની લાશ તેના ગામથી દોઢ કિલોમીટરના અંતરે ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને મૃતદેહ પાસેથી એક ડાયરી પણ મળી હતી, જેમાં તેણે મહાલક્ષ્મીની હત્યાની કબૂલાત કરી હતી.
Fact Check – શું જસ્ટિસ દલવીર ભંડારી ICJના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા છે? શું છે સત્ય
અમારી તપાસમાં મળેલા પુરાવા દર્શાવે છે કે, મુક્તિ રંજન રે ઓડિશામાં તેના ગામમાં આત્મહત્યા કરનાર મહાલક્ષ્મીની હત્યાનો મુખ્ય આરોપી હતો. તેણે પોતાની સુસાઈડ નોટમાં પણ આ વાત સ્વીકારી છે.
Sources
Article Published by Dainik Bhaskar on 26th Sep 2024
Article Published by BBC Hindi on 27th Sep 2024
Article Published by AAJ TAK on 27th Sep 2024
Article Published by Hindustan Times
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044