Friday, December 19, 2025

Fact Check

Fact Check – 1લી જાન્યુ. 2025થી બૅન્કોના ચેક માત્ર 2 કલાકમાં જ ક્લિયર થવાનો વાઇરલ દાવો ખોટો

Written By Dipalkumar Shah
Jan 3, 2025
banner_image

Claim :   1લી જાન્યુ. 2025થી બૅન્કોના ચેક માત્ર 2 કલાકમાં જ ક્લિયર થતા હોવાથી આથી ખાતામાં બૅલેન્સ રાખવું પડશે. આરબીઆઈએ કન્ટિન્યૂઅસ ક્લિયરિંગ સિસ્ટમ લાગુ કરી દીધી.
Fact : દાવો ખોટો છે. આરબીઆઈ દ્વારા કન્ટિન્યૂઅસ ક્લિયરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. હજુ સુધી તેનો અમલ શરુ થયો નથી.

2025નું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. નવા વર્ષની સાથે બૅન્કિંગ સંબંધિત ઘણા નિયમો અને કામકાજમાં ફેરફારો લાગુ થતા હોય છે. ક્રેડિટ કાર્ડથી લઈને બૅન્કિંગ રેગ્યુલેશન સહિતના મામલે આ વખતે ઘણા ફેરફારો થયા છે.

જોકે, નવા વર્ષની શરૂઆત સાથે જ સોશિયલ મીડિયામાં એક મૅસેજ વાઇરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે બૅન્કોના ચેક માત્ર બે કલાકની અંદર જ ક્લિયર થઈ જશે.

સોશિયલ મીડિયા ફેસબુક પર યુઝરે પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે, “1લી જાન્યુ. 2025થી બૅન્કોના ચેક માત્ર 2 કલાકમાં જ ક્લિયર થઈ જશે. આથી ખાતામાં બૅલેન્સ રાખવું પડશે. આરબીઆઈએ કન્ટિન્યૂઅસ ક્લિયરિંગ સિસ્ટમ લાગુ કરી દીધી.”

સોશિયલ મીડિયાના પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.

Courtesy – FB/@ReelsofGujarat

ન્યૂઝચેકરને વોટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર પણ આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.

Courtesy – Newschecker WhatsApp Tipline

જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.

Fact Check/Verification

ઉપરોક્ત વાઇરલ દાવાની તપાસ માટે સોપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદથી કીવર્ડ ચલાવી અને નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

જેમાં અમને 8 ઑગસ્ટ-2024ના રોજ ફાયનાન્સિયલ માર્કેટના ન્યૂઝ સંબંધિત મનીકંટ્રોલ વેબસાઇટ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

Courtesy – Screengrab of Moneycontrol Website

અહેવાલનું શીર્ષક છે – આરબીઆઈની પૉલિસી : આરબીઆઈ દ્વારા ‘સેમ ડૅ’ ચેક ક્લિયરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ, જાણો ગ્રાહકોને કઈ રીતે થશે લાભ

આ અહેવાલમાં જણાવાયું છે કે, “ટૂંક સમયમાં જ જ્યારે પ્રસ્તાવિત ચેક ક્લિયરિંગ સિસ્ટમ લાગુ થશે ત્યાર પછી જે દિવસે બૅન્કમાં ચેક જમા કરાવશો તે જ દિવસે ગણતરીના કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. હાલ તમામ ચેક જે સિસ્ટમથી ક્લિયર થાય છે તેને ‘ચેક ટ્રંકેટ ક્લિયરિંગ’ સિસ્ટમ કહેવામાં આવે છે. તેમાં મહત્તમ બે દિવસનો સમય લાગતો હોય છે. પરંતુ નવી સિસ્ટમમાં ક્લિયરિંગ ઝડપી થશે. આરબીઆઈ ગવર્નર દ્વારા આ પ્રસ્તાવિત જાહેરાત કરવામાં આવી છે.”

અત્રે નોંધવું કે, ઉપરોક્ત અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલ છે કે, નવી સિસ્ટમ એક પ્રસ્તાવિત સિસ્ટમ છે અને તેને લાગુ કરવામાં આવશે. એટલે કે આરબીઆઈ દ્વારા એ સિસ્ટમ લાગુ થયાની જાહેરાત નથી પરંતુ આરબીઆઈન પ્રસ્તાવિત સિસ્ટમ છે.

આરબીઆઈ દ્વારા ત્યાર બાદ આ મામલે કોઈ અન્ય જાહેરાત કરાઈ છે કે નહીં તે જાણવા અમે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની વેબસાઇટ તપાસી. જેમાં અમે પ્રસ્તાવિત ચેક ક્લિયરિંગ સિસ્ટમ મામલેની આરબીઆઈની 08 ઑગસ્ટ-2024ની એક પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ.

સ્ટેટમેન્ટ ઑફ ડૅવલપમૅન્ટ ઍન્ડ રેગ્યુલેશન પૉલિસી શીર્ષક હેઠળની પ્રેસ રિલિઝમાં જણાવ્યા અનુસાર, “રેગ્યુલેશન અને પેમેન્ટ સિસ્ટમ મામલે થયાલે ડૅવલપમૅન્ટ વિશેના નિવેદનો આ પ્રકારે છે. જેમાં વર્તમાન સમયમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (સિસ્ટમ) હેઠળ ચેકને ક્લિયર થતા બે દિવસ સુધીનો સમય લાગતો હોય છે. પરંતુ ગ્રાહકોના સેટલમેન્ટ રિસ્કને ઘટાડવા થતા ચેક ક્લિયરિંગ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાંથી કન્ટિન્યૂઅસ ક્લિયરિંગ સિસ્ટમ જેમાં રિયલ ટાઇમ સેટલમેન્ટ થઈ શકે તે સિસ્ટમમાં જવાનો પ્રસ્તાવ છે. આ નવી સિસ્ટમમાં ચેક જમા કરવામાં આવ્યા બાદ સ્કૅન થશે અને પ્રોસેસ થઈને બિઝનેસ વર્કિંગ ડૅના સમયગાળામાં ગણતરીના કલાકોમાં સીધા પાસ થઈ જશે. આનાથી ચેક ક્લિયરિંગનો T+1ની ક્લિયરિંગ સાઇકલનો સમયગાળો ઘટીને ગણતરીના કલાકોનો થઈ જશે. આ મામલે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.”

Courtesy – RBI Press Release Screengrab

અત્રે પણ ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ દ્વારા ઇસ્યૂ કરાયેલ પ્રેસ રિલિઝમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ એક પ્રસ્તાવિત સિસ્ટમ છે અને તે હજુ લાગુ નથી કરાઈ. વળી તે ક્યારે લાગુ કરવામાં આવશે તેની તારીખ પણ તેમાં સામેલ નથી.

અમે 8મી ઑગસ્ટ-2024થી લઈને 3 જાન્યુઆરી-2025 સુધીની આરબીઆઈની તમામ પ્રેસ રિલિઝ પણ તપાસી. જોકે, તેમાં આ નવી સિસ્ટમ લાગુ થઈ ગઈ હોવાની કોઈ પ્રેસ રિલિઝ ઉપલબ્ધ નથી. એનો અર્થ કે તે લાગુ કરાઈ નથી. એનો અર્થ કે હાલ વર્તમાન ટીસીએસ સિસ્ટમ જ લાગુ છે.

વધુ વૅરિફિકેશન માટે અમે બૅન્કિંગ સંબંધિત કર્મચારીઓનો પણ સંપર્ક કર્યો. જેમાં નામ ન જણાવવાની શરતે બૅન્કના એક સિનિયર અધિકારીએ માહિતી આપી કે હજુ સુધી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી.

તેમણે જણાવ્યું, “પહેલાંના જમાનામાં તમામ બૅન્કોની સ્ટેશનરીનું ફોર્મેટ અને સાઇઝ તથા કાર્યપદ્ધતિ ઘણી અલગ અલગ હતી. આથી ચેક ક્લિયર થતા મહિનાઓ લાગી જતા હતા. કેમ કે ચેકને સંબંધિત બ્રાન્ચોમાં મોકલવો પડતો હતો. ઘણી વાર અન્ય રાજ્યમાં ક્લિયરિંગ માટે મોકલવા પડતા હતા. પરંતુ આ સમસ્યા નિવારવા માટે સરકારે એટલે કે આરબીઆએ દ્વારા તમામ બૅન્કોને ચેકની સાઇઝ અને ફોર્મેટ સરખા રાખવા સીટીએસ સિસ્ટમ લવાઈ. આ સિસ્ટમમાં ચેકના ફોર્મેટ જેવા કે એકાઉન્ટ નંબર, ફીચર્સ, ડેટ લખવાના બૉક્સિસ સહિતની બાબતો સરખી રાખવામાં આવી છે. હાલની સિસ્ટમમાં જો ચેક જે બૅન્કનો છે તેને તે જ બૅન્કમાં જમા કરાવવામાં આવે તો ઝડપથી એ જ દિવસો ક્લિયર થઈ જાય છે. એમ કહી શકાય કે ગણતરીના કલાકોમાં કે તરત જ ક્લિયર થઈ જાય છે. પરંતુ જો અલગ અલગ બૅન્કોના ચેક અન્ય બૅન્કની શાખાઓમાં જમા થતા હોય, તો તે માટે T+1 અથવા  T+2ની ક્લિયરિંગ સાઇકલ લાગુ પડે છે એટલે કે એક કે બે દિવસ લાગી જતા હોય છે. જ્યારે નવી સિસ્ટમની વાત કરીએ તો તે પ્રસ્તાવિત છે અને હજુ લાગુ થઈ નથી.”

તદુપરાંત, અમે બૅન્કિંગ રેગ્યુલેશન અને પેમેન્ટ સિસ્ટમ મામલેના જાણકાર સાથે પણ વાતચીત કરી.

સુરતની મિતિશ .એસ. મોદી ઍન્ડ કંપનીના સિનિયર ચાર્ટડ અકાઉન્ટ મિતિશ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “નવી સિસ્ટમ આરબીઆઈની પ્રસ્તાવિત સિસ્ટમ છે. તે કોઈ તકનિકિ કારણસર હજુ લાગુ કરવામાં આવી નથી. આથી હાલ વર્તમાન ટીસીએસ સિસ્ટમ જ લાગુ છે.”

ઉપરોક્ત તમામ બાબતો સ્પષ્ટ સૂચવે છે કે, માત્ર 2 કલાકની અંદર જ રિયલ ટાઇમ ચેક ક્લિયર થઈ જાય તેવી સિસ્ટમ લાગુ થઈ નથી.

Read Also : Fact Check – શું RBI ₹500 અને ₹2000ની નવી ચલણી નોટો લાવી રહી છે? શું છે સત્ય

Conclusion

અમારી તપાસમાં સ્પષ્ટ નિષ્કર્ષ નીકળે છે કે, 1લી જાન્યુ. 2025થી બૅન્કોના ચેક માત્ર 2 કલાકમાં જ ક્લિયર થઈ જશે, આથી ખાતામાં બૅલેન્સ રાખવું પડે એવી આરબીઆઈએ કન્ટિન્યૂઅસ ક્લિયરિંગ સિસ્ટમ લાગુ થયાનો વાઇરલ દાવો ખોટો છે.

Result – False

Sources
News Report by Moneycontrol dated 8th Aug,2024
RBI Press Release dated 8th Aug, 2024
Telephonic conversation with Banking Person
Telephonic conversation with Banking Expert Mitish Modi

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,641

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage