Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – યુકે સહિત વિશ્વમાં મુસ્લિમો વસ્તી મામલે હિંદુઓને પાછળ છોડી દેશે અને રાજકીય સત્તા પોતાના તરફે આંચકી બિન-મુસ્લિમ દેશોને મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવી રહ્યા હોવાનો વાઇરલ દાવો
Fact – આ દાવો ખોટો છે અને ગેરમાર્ગે દોરનારો છે. વાઇરલ દાવાની તપાસ કરતા તેમાં રહેલા મોટાભાગના ઘણા તથ્યો અને આંકડાકીય માહિતીઓ ખોટી પુરવાર થઈ છે. ઘણી માહિતી ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી છે.
યુકેમાં પોપસ્ટાર ટેલર સ્વિફ્ટના કૉન્સર્ટ બાદ ત્રણ બાળકીઓની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાયા બાદ ફેલાયેલી મિસઇન્ફર્મેશન અને ડિસઇન્ફર્મેશનને પગલે એન્ટિ-ઇમિગ્રન્ટ જુવાળ ઊભો થતા રમખાણો ફાટી નીકળ્યા છે. સોશિયલ મીડિયામાં હત્યારો મુસ્લિમ હોવાની ખોટી વાત વહેતી કરી દેવાતા રમખાણોએ ઊગ્ર સ્વરુપ ધારણ કર્યું. પોલીસે પણ સ્પષ્ટતા કરી હતી કે હત્યારો મુસ્લિમ નથી.
આ દરમિયાન ઇસ્લામોફોબિક માહિતીઓ સોશિયલ મીડિયામાં વધુ પ્રસરવા લાગી છે. ન્યૂઝચેકરને પણ આવો જ એક વાઇરલ ફેક મૅસેજ ફેક્ટ ચેક માટે પ્રાપ્ત થયેલ છે.
ખોટા દાવાઓ અને માહિતી સાથે હિંદુ-મુસ્લિમના એજન્ડા સાથે તેને વાઇરલ કરાયો હતો. પ્રાપ્ત થયેલ દાવામાં કહેવાયું છે કે, “યુકે સહિત વિશ્વમાં મુસ્લિમો વસ્તી મામલે હિંદુઓને પાછળ છોડી દેશે અને રાજકીય સત્તા પોતાના તરફે આંચકી બિન-મુસ્લિમ દેશોને મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવી રહ્યા છે. ભારતમાં હિંદુઓ લઘુમતી આવા જવાના છે અને મુસ્લિમોની વસ્તી બહુમતીમાં આવી જશે.”
અમારી તપાસમાં આ સમગ્ર દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે. વાઇરલ મૅસેજમાં એક કરતા વધુ દાવા સામેલ હોવાથી તમામનું દાવા અનુસાર તબક્કાવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ છે.
ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો એકથી વધુ વખત ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેને હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મૅસેજ તાજેતરમાં અને ભૂતકાળમાં પણ વાઇરલ કરવામાં આવી ચૂક્યા છે. આર્કાઇવ વર્ઝન અહીં, અહીં જુઓ
દાવા નંબર 1ની તપાસ
ઉપરોક્ત દાવાની તપાસ કરવા સૌપ્રથમ ન્યૂઝચેકરે સ્થાનિક સરકારની એટલે કે લંડનની મૅયર સિસ્ટમ વિશે જાણવાની કોશિશ કરી. તપાસમાં ઉપરોક્ત દાવાની કેટલિક વિગતો વિસંગતતાવાળી નીકળી છે. મોટાભાગની માહિતી ખોટી છે.
હવે, પહેલા લંડનની મૅયર સિસ્ટમ સમજીએ.
અમને તપાસમાં જાણવા મળ્યું કે, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બે પ્રકારના મૅયર હોય છે. એક ચૂંટાયેલા મૅયર (મૅયર) અને બીજા સિવિક મૅયર (લૉર્ડ મૅયર).
સીધી રીતે ચૂંટાયેલા મૅયર (મૅયર) અને કૅબિનેટ સ્થાનિક સ્વરાજના રાજકીય મૅનેજમેન્ટ માટે ઉપલબ્ધ ત્રણ જુદી જુદી વ્યવસ્થામાંથી એક છે. આ વ્યવસ્થામાં લીડર અને કૅબિનેટનો સમાવેશ થાય છે ઉપરાંત પારંપરિક કમિટિ સિસ્ટમ, જેમાં પૉલિસી કમિટી દ્વારા નિર્ણયો લેવાય છે અને આખી પરિષદ દ્વારા તે મંજૂર થાય છે.
બીજી બાજુ લૉર્ડ મૅયર એટલે કે સિવિક મૅયર માત્ર સેરેમોનિયલ પદ છે. તેમની ભૂમિકા માનદસેવાની છે. તે સ્થાનિક સત્તામંડળના અધ્યક્ષ હોય છે પરંતુ તેના નેતા કે કાર્યપાલિકાના વડા નથી હોતા. યુ.કેની સરકારે ડિવોલ્યૂશન ડીલ હેઠળ સમયાંતરે રાજકીય સત્તાનું કેન્દ્ર સરકાર પાસેથી સ્થાનિક સરકારો માટે ડિવોલ્યૂશન કરી સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલ છે.
આમ કેટલાક નગરોએ સ્પષ્ટતા માટે આ પદોના નામ પણ બદલ્યા છે અને તેને ટાઉન મૅયર કે સ્પિકર જેવા નામ આપી દીધા છે, જેથી તેને મૅયરના પદ મામલે કોઈ મૂંઝવણ ન ઊભી થાય.
ઇંગ્લેન્ડમાં સીધા ચૂંટાયેલા (સ્થાનિક સરકાર અને મેટ્રો) મૅયરની સંખ્યા માત્ર 24 છે. (APPENDIX 1 & 2 જુઓ)
ઉપરોક્ત દાવામાં કહેવાયું છે કે મુસ્લિમ પ્રજા મુસ્લિમ મૅયરોને ચૂંટી રહી છે આથી ચૂંટાયેલા મુસ્લિમ મૅયરની સંખ્યા જાણવી મહત્ત્વની છે.
દાવામાં સામેલ મૅયર યાદીને ઉપરોક્ત રિપોર્ટ સાથે સરખાવીએ તો એ પ્રમાણે માત્ર લંડન અને સાઉથ યૉર્કશાયર મૅયરોલ કમ્બાઇન ઑથોરિટીમાં (જેમાં શેફિલ્ડ સામેલ છે) ચૂંટાયેલા મૅયર છે. આથી, દાવામાં બર્મિંઘમ, લીડ્ઝ, બ્લેકબર્ન, ઑક્સફર્ડ, લૂટન, ઓલ્ડહામ અને રોટડેલમાં ચૂંટાયેલા મૅયરનું પદ જ નથી.
આથી મુસ્લિમો માત્ર મુસ્લિમ મૅયર જ ચૂંટી રહ્યા હોવાની વાત ખોટી છે. તદુપરાંત ઉપરોક્ત દાવામાં આપેલ યાદી જેમા કુલ 9 મૅયર છે તેમાંથી લંડન, બ્લેકબર્નના મૅયર મુસ્લિમ છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે ઓલ્ડહામ અને લૂટન અને ઑક્સફૉર્ડના મૅયર પણ મુસ્લિમ છે. જોકે, બર્મિંઘમ, શેફિલ્ડ અને રોકડેલના મૅયરો મુસ્લિમ નથી. લીડ્ઝના મૅયરના ધાર્મિક દરજ્જા વિશે જાણી શકાયું નથી.
જેનો અર્થ કે દાવામાં કુલ 9 મૅયરમાંથી 3 મુસ્લિમ નથી અને લીડ્ઝના મૅયર ચૂંટાયેલ મૅયર ન હોવાથી તે પણ મુસ્લિમો કે અન્યો દ્વારા ચૂંટાયેલા મૅયર ન હોવાથી ગણતરીમાં નથી લઈ શકતા. આમ કુલ 4 મૅયરો વિશેની માહિતી દાવામાં ખોટી છે. સાથે સાથે ઓલ્ડહામ, લૂટન અને ઑક્સફૉર્ડના મૅયર પણ ચૂંટાયેલા મૅયર નથી. આથી તેમને મુસ્લિમ મતદારોએ ચૂંટ્યા હોય તે બાબત પણ ખોટી પુરવાર થાય છે કેમ કે ત્યાં એ પદનું અસ્તિત્વ જ નથી.
અત્રે આ વાત પણ નોંધવી કે માત્ર લંડનના મૅયર સાદીક ખાન જ એક્ઝિક્યૂટિવ મૅયર છે એ સિવાયના તમામ માત્ર સેરેમોનિયલ એટલે કે માનદ પદ છે. તેઓ કોઈ ખાસ સત્તા ધરાવતા નથી. વળી, સાઉથ યૉર્કશાયર મૅયરોલ કમ્બાઇન ઑથોરિટી જેમાં શેફિલ્ડ એક ભાગ છે, તેના મૅયર ઑલિવર જેમ્સ કૉપાર્ડ યહૂદી છે.
દાવા નંબર 1 અમારી તપાસમાં ખોટા સંદર્ભવાળો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
દાવા નંબર 2ની તપાસ
આ દાવાની તપાસ માટે અને ગૂગલ સર્ચની મદદ લીધી. યુકેના મસ્જિદોની સંખ્યા જાણવા માટે muslimsinbritain.orgની વેબસાઇટની ડિરેક્ટરી અનુસાર યુકેમાં 2129 જેટલી મસ્જિદ છે. ડેટા દર્શાવે છે કે આ સંખ્યામાં પ્રાર્થનાઘરોનો પણ સમાવેશ થાય છે. વળી ભાડાના હૉલ અને કામચલાઉ સ્થળો અલગ છે.
એટલું જ નહીં પરંતુ હાઉસ ઑફ લૉર્ડ્ઝ સિલેક્ટ કમિટિ (પબ્લિક સર્વિસ) 2020 મુજબ મુસ્લિમ કાઉન્સિલ બ્રિટન જણાવે છે કે તેના નેજા હેઠળ લગભગ 1200 મસ્જિદો સામેલ છે.
આમ 3000થી વધુ મસ્જિદો બાંધી દેવાઈ હોવાનો આંકડો ઉપલબ્ધ માહિતી સાથે મૅચ નથી થતો. ઉપરાંત આ મસ્જિદો બોરિસ જ્હોન્સને દૂર કરવી પડી હોવાની વાતની તપાસ કરતા કોઈ પરિણામ નહીં મળતા તે વાત અનિર્ણિત છે. જેથી આ દાવો પણ ગેરમાર્ગે દોરનારો છે.
દાવા નંબર 2 અમારી તપાસમાં ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
દાવા નંબર 3ની તપાસ
ગૂગલ લૅન્સ પર સર્ચની મદદ લેતા યુકેમાં શરિયા અદાલતો અને કાઉન્સિલની સંખ્યા મામલે યુકે સરકારના ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2018માં કમિશન કરાયેલ એક સ્વતંત્ર સમીક્ષાના અહેવાલ પ્રમાણે યુકેમાં શરિયા કોર્ટનું અસ્તિત્વ જ નથી. ખરેખર શરિયા કાઉન્સિલને મીડિયા ઘણી વાર ભૂલથી સરિયા અદાલત ગણાવી દે છે. વધુમાં યુકેમાં શરિયા કાઉન્સિલને કાનૂની દરજ્જો પ્રાપ્ત નથી અને તે કોઈ સત્તાવાર કોર્ટ નથી ન તેની પાસે કોઈ ન્યાયિક સત્તા છે. ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં આવી કાઉન્સિલની સંખ્યા 30થી 85 વચ્ચે છે. આ કાઉન્સિલ માત્ર ધાર્મિક બાબતોમાં માર્ગદર્શન અને લગ્ન-છુટાછેડા જેવા પારિવારિક તકરારી મામલાઓમાં ઉકેલ લાવવા માટે માધ્યમ અને માર્ગદર્શન પુરૂ પાડે છે.
દાવા નંબર 3 અમારી તપાસમાં ખોટો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
દાવા નંબર 4ની તપાસ
વર્ષ 2018ના નોકરી કે આર્થિક રીતે સક્રિય વ્યક્તિઓના ધાર્મિક શ્રેણી અનુસાર જેન્ડર વર્ગીકરણના રિપોર્ટ અનુસાર મુસ્લિમ મહિલાઓમાં આર્થિક રીતે સક્રિય ન હોવાનું પ્રમાણ નોંધપાત્ર છે. પરંતુ દાવામાં ઉલ્લેખ કરવામાં આવેલો 78 ટકાનો આંકડો અતિશોયક્તિ છે.
ગ્રેટ બ્રિટનમાં જૂન-2022ના એક અંદાજ પ્રમાણે 16 વર્ષથી વધુ વયના માત્ર 6 ટકા મુસ્લિમો બેરોજગાર હતા અને 38 ટકા આર્થિક રીતે સક્રિય નહોતા એટલે કે (તેઓ કામ નહોતા કરતા, છેલ્લા 4 સપ્તાહમાં કામ નથી માગ્યુ અને આગામી 2 સપ્તાહમાં કામ નથી કરવાના). આમાં વિદ્યાર્થીઓ, નિવૃત્ત લોકો અને ઘર અથવા પરિવારના દેખભાળ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.
જેનો અર્થ થયો કે 38 ટકા અને 6 ટકા મળી કુલ 44 ટકા કામ નથી કરતા. અત્રે નોંધવું કે, આમાં વિદ્યાર્થીઓ અને નિવૃત્ત લોકો પણ સામેલ છે. આથા મહિલા અને પુરુષોનું 78 ટકા અને 63 ટકાનું દાવામાં કહેવામાં આવેલું બેરોજગારીના પ્રમાણમનો આંકડો અતિશયોક્તિ ભરેલો છે.
ઉપરાંત, વર્ષ 2015 પ્રમાણે, મુસ્લિમ મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ 16 ટકા છે, જ્યારે મુસ્લિમ પુરુષોમાં તે પ્રમાણ 11 ટકા છે.
વધુમાં, તમે જો સોશિયલ હાઉસિંગ એટલે કે સરકારી આવાસોમાં રહેતા અથવા લાભ પ્રાપ્ત કરતા લોકોનું પ્રમાણ તપાસો તો પણ દાવામાં કરાયેલ આંકડો અતિશયોક્તિ વાળો છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 27 ટકા મુસ્લિમ પરિવારો સોશિયલ હાઉસિંગ એટલે કે સરકારી આવાસોમાં રહે છે. બધા જ ધર્મના પરિવારોની આવાસ રહેણાંક સ્થિતિની સરખામણીમાં તેનું પ્રમાણ 18 ટકા છે. વળી એ પણ નોંધવું કે સરકારી આવાસનો અર્થ એ નથી થતો કે તે એકદમ મફતમાં રહેવા મળે છે. તેના પણ ભાડા અને અન્ય ચાર્જીસ ચૂકવવા પડતા હોય છે.
આમ આ દાવો પણ ખોટો છે અને માહિતી ખોટા સંદર્ભવાળી છે.
દાવા નંબર 4 અમારી તપાસમાં ખોટો પુરવાર થાય છે.
દાવા નંબર 5ની તપાસ
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પરિવારમાં સરેરાશ 1.8 બાળકો છે. (આમાં બાળકો વિનાના પરિવાર સામેલ નથી.) જ્યારે સરેરાશ મુસ્લિમ પરિવારમાં આ પ્રમાણ 2.3 ટકા છે.
રિપોર્ટ પ્રમાણે લગભગ 60 ટકા મુસ્લિમ પરિવારોમાં બે કે તેથી વધુ બાળકો છે.
આમ, સરેરાશ મુસ્લિમ પરિવારમાં બાળકોનું 2.3 ટકાનું પ્રમાણ અને 60 ટકા મુસ્લિમ પરિવારોમાં 2 કે તેથી વધુ બાળકોનું પ્રમાણ દાવામાં શેર કરાયેલ 6-8 બાળકોની બાબત સાથે સુસંગત નથી જણાતું. ઉપરાંત આવાસની યોજના તદ્દન ફ્રી પણ નહીં હોવાથી દાવા નંબર 5 ખોટા સંદર્ભવાળો જણાય છે. એટલું જ નહીં પરંતુ આ દાવાના આધાર મામલે કોઈ રિપોર્ટ પણ નથી ઉલ્લેખવામાં આવ્યો. તથા યુકે સરકાર ધર્મ આધારે બાળકોના જન્મની નોંધણી કરતું નથી.
આમ, દાવા નંબર 5 અમારી તપાસમાં ખોટા સંદર્ભવાળો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
દાવા નંબર 6ની તપાસ
વર્ષ 2019માં સંસદમાં શિક્ષણ વિભાગના તત્કાલિન અંડર-સેક્રેટરી લૉર્ડ એન્ડ્ર્યૂએ પ્રશ્નોત્તરીકાળમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્કૂલો દરરોજ હલાલ અને નોન-હલાલ ફૂડ પીરસવા મામલે વિચારણા કરી શકે છે જેથી વિદ્યાર્થીઓને તેમના ડાયટ અનુસાર ભોજનની પસંદગી મળી શકે. અને તેના પર સ્પષ્ટ લેબલ પણ લગાવવું જોઈએ કે તે હલાલ છે કે નોન-હલાલ માંસ છે.
વળી, સરકાર તરફથી કોઈ નિશ્ચિત ભોજન પીરસવા મામલે કે કોઈ ડાયટ મામલે પ્રતિબંધો લગાવવા વિશે ખાસ સૂચનાઓ નથી આપવામાં આવી. સ્કૂલ પ્રશાસન ભોજન મામલે પોતાની રીતે નિર્ણય લેતી હોય છે. આથી એ સ્વાભાવિક છે કે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં હલાલ માંસ મામલેનું ચલણ રહેતું હોય.
એનો અર્થ એ નથી કે યુકેની તમામ સ્કૂલોમાં હલાલ માંસ જ પીરસવામાં આવે છે. ઘણી સ્કૂલોમાં પોર્ક ભોજનમાં આપવામાં આવે છે જે હલાલ નથી.
વળી સ્કૂલો હલાલ માત્ર મુસ્લિમો નહીં પરંતુ યહૂદી બાળકોની જરૂરિયાતને પણ ધ્યાને લઈ આવો વિકલ્પ આપતા હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.
યુકેની તમામ સ્કૂલોમાં હલાલ પીરસવામાં આવતી હોવાની વાત ખોટી છે.
દાવા નંબર 6 અમારી તપાસમાં ખોટો પુરવાર થાય છે.
દાવા નંબર 7ની તપાસ
બ્રિટિશ સરકાર દ્વારા વર્ષ 1941માં કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ ભારતમાં લગભગ 38.66 કરોડ લોકોની વસ્તી હતી. જેમાં હિંદુની વસ્તી લગભગ 25 કરોડની આસપાસ હતી.
એ સમયે શીડ્યૂલ કાસ્ટ અને અન્ય મળીને હિંદુ વસ્તી ગણવામાં આવતી હતી. ઉપરાંત મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, જૈન, પારસી, બૌધસ, યહૂદી, ટ્રાઇબ્સ, અન્યો એ રીતે સમુદાયોનું વર્ગીકરણ વસ્તી ગણતરીમાં ઉલ્લેખવામાં આવ્યું હતું. વળી 1931ની વસ્તી કરતી ભારતની 1941ની વસ્તતીમાં લગભગ 50 હજારનો વધારો થયો હતો. 1941માં વસ્તી ગણતરીમાં મુસ્લિમોની વસ્તી લગભગ 9.2 કરોડની હતી. એનો અર્થ કે, હિંદુઓની વસ્તીનું પ્રમાણ લગભગ 64 ટકા હતું. અને મુસ્લિમની વસ્તીનું પ્રમાણ લગભગ 23 ટકા હતું.
અત્રે એ ખાસ નોંધવું કે આ વસ્તી બિનવિભાજીત બ્રિટિશ ઇન્ડિયાની હતી. ભારત એ સમયે બ્રિટિશ હુકૂમત હેઠળ હતું અને સ્વતંત્રતા નહોતી મળી. ભારત અને પાકિસ્તાન એક જ હતા બંનેના ભાગલા નહોતા પડ્યા. ત્યાર બાદ ભારતને 1947માં સ્વતંત્રતા મળી અને એ સમયે ભારત પાકિસ્તાનના ભાગલા પણ થયેલા હતા. 1948માં ભારતનું બંધારણ આવ્યું.
ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે ઘણા વિસ્તારો પાકિસ્તાનમાં ગયા અને કેટલાક ભારતમાં આવ્યા. રમખાણો પણ થયા હતા અને કત્લેઆમ પણ થઈ હતી. ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાંથી ભારતમાં હિજરત કે પલાયન કરી ચૂક્યા હતા. ઉપરાંત પાકિસ્તાન એક મુસ્લિમ બહુલવાળો દેશ બનતા ઘણી મુસ્લિમ વસ્તી ત્યાં હિજરત કરી ગઈ હતી અને તે મુસ્લિમ બહુલવાળો વિસ્તાર પહેલાથી જ હોવાથી ત્યાં મુસ્લિમ વસ્તી હિંદુઓ કરતા અન્ય જગ્યાની સરખામણીએ વધુ હતી.
ભારતની પ્રથમ સરકારે 1951માં પહેલી વસ્તી ગણતરી કરાવી હતી ત્યારે સત્તાવાર રીતે ભારતની વસ્તી લગભગ 36 કરોડ હતી. અને તેમાં 84.1 ટકા હિંદુ સમુદાય જ્યારે 9.1 ટકા મુસ્લિમો હતા. (પેજ નંબર 24)
પહેલી વસ્તી ગણતરી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્તવવાળી ભારતની પ્રથમ સરકારના કાર્યકાળમાં થઈ હતી. ત્યાર બાદ 1951-52માં પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસે જીત મેળવી હતી. પંડિત નહેરુ ભારતના પ્રથમ ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા હતા. દરમિયાન, 1948માં હિંદુઓનું પ્રમાણ વસ્તીની દૃષ્ટિએ 88 ટકા અને મુસ્લિમોનું 6 ટકા હોવાનો કોઈ આધાર મળ્યો નથી. સરકાર દ્વારા કોઈ સત્તાવાર વસ્તી ગણતરી કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
વળી 2011ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ કુલ વસ્તીના પ્રમાણમાં ભારતમાં 14.2 ટકા હતું. દાવામાં કહેવાયું છે તેમ એ 22 ટકા નહોતું.
લાઇવ મિંટના 13 જૂન-2018ના અહેવાલ પ્રમાણે, ભારતમાં હિંદુ વસ્તીનો વાર્ષિક વૃદ્ધિ દર 1.55 ટકા છે જ્યારે મુસ્લિમ વસ્તીનો વૃદ્ધિ દર 2.2 ટકા છે. આ અહેવાલ ભારત સરકારની સચર કમિટિના ડેટા પરથી તૈયાર કરવામાં આવેલ છે.
અમેરિકાની પ્યૂ રિસર્ચ સેન્ટર સંસ્થાના અહેવાલ પ્રમાણે, વર્ષ 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ કુલ વસ્તીમાં 18.4 ટકા અને હિંદુઓની વસ્તીનું પ્રમાણ 76.7 ટકા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
જોકે, વર્ષ 2041 સુધીમાં ભારતમાં હિંદુ અને મુસ્લિમની વસ્તી કેટલી હશે તેનો અંદાજ રજૂ કરતો સત્તાવાર અહેવાલ ભારત સરકાર કે સંસદ દ્વારા જાહેર નથી કરાયો. આથી એ સમયે વાસ્તવિકરૂપે સ્થિતિ કેવી હશે તે અમે સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યા નથી. જોકે, લાઇવ મિંટના અહેવાલમાં ઉલ્લેખ કરાયેલ સચર કમિટિ અનુસાર વર્ષ 2030 સુધીમાં મુસ્લિમ વસ્તી હિંદુની વસ્તી કરતા વધુ નહીં હોવાનો અંદાજિત આંકડો ઉલ્લેખવામાં આવેલ છે.
દાવા નંબર 7 અમારી તપાસમાં અનિર્ણિત પુરવાર થાય છે.
Read Also – Fact Check – ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ દાવો ફેક
અમારી તપાસમાં વાઇરલ મૅસેજમાં કરવામાં આવેલા 7 મુખ્ય દાવાઓમાંથી 6 દાવા સૌપ્રથમ ખોટા સંદર્ભ સાથે અને ખોટી માહિતીઓ સાથે શેર કરવામાં આવેલા પુરવાર થાય છે. જ્યારે દાવા નંબર 7 અનિર્ણિત રહે છે. દાવાઓમાં ઉલ્લેખવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી પુરવાર થઈ છે. યુકે સરકાર, ભારત સરકાર અને અન્ય વિશ્વસનિય સંસ્થાઓ તથા મીડિયા અહેવાલો અનુસાર દાવામાં ઉલ્લેખ કરાયેલ વિગતો ખોટી પુરવાર થઈ છે. આથી વાઇરલ મૅસેજ (દાવો) ખોટો હોવાનો નિષ્કર્ષ નીકળે છે.
Sources
News Report by BBC, dated, 8 Aug-2024
Parliament Reports by UK Govt
Report by Reuters, dated, 12 June-2024
News Report by NPR, dated,17 Apr-2024
News Report by Lancashire Telegraph, dated, 4 Nov-2023
News Report by Sheffield Tribune, dated,22 July-2023
Report by muslimsinbritain.org
Reports by UK Govt
Census Report of Govt of India
News Report by Live Mint, Dated, 13 June-2018
Report by trove.nla.gov.au
Report by Pew Research
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 16, 2025
Dipalkumar Shah
April 28, 2025
Dipalkumar Shah
February 25, 2025